ગુજરાતમાં કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા હોવાના અહેવાલો અવારનવાર આવતા રહે છે, પરંતુ આજે વહેલી સવારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે પોણાસાત વાગ્યાની આસપાસ 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22 કિ.મી દૂર નોંધાયું હતું. ગોંડલ સહિત ગ્રામ વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ડર ફેલાયો હતો. વહેલી સવારે ભૂકંપનો આંચકો આવતાં લોકો ગભરાઈ ગયા હતા. લોકો ભૂકંપના ડરથી ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલમાં ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ વીરપુરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આટકોટ પંથકમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
ભૂકંપની ખબર પડતાં જ લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી મોટા ભાગના લોકોને અનુભવ થયો નહોતો. બારી-બારણાં પર ભૂકંપની અસર દેખાઈ હોવાનું લોકોએ જણાવ્યું હતું. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં એની અસર પાલનપુર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં જોવા મળી હતી. જોકે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનના ભીનમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે. રાજસ્થાન પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતાં એની અસર પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાના ઘણા તાલુકાઓમાં જોવા મળી હતી. બનાસકાંઠાથી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતાં જ પાલનપુર સહિતના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. સતત રાત્રિના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ કરતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.