રવિવારની રજાના દિવસે પાટણના રાધનપુરના કામલપુરથી પસાર થતી બનાસ નદીમાં ચાર યુવાનો ન્હાવા માટે ગયા હતા. પણ આ ચારેય યુવાનો નદીમાં તણાઈ ગયા હતા. ઉપરવાસના ભારે વરસાદને કારણે નવા નીરની આવકને કારણે બનાસ નદીમાં ધસમસતાં પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ચાર યુવાનો પૈકી એક યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 3 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા.
ઉપરવાસમાંથી છોડાયેલા પાણીમાં રાધનપુરના કામલપુર પાસેથી પસાર થતી બનાસનદીમાં ચાર યુવાનો તણાયા હતા. આ અંગેની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. જ્યારે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ 3 યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે રાધનપુરની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. તો એક યુવાનનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.