હાલ રાજ્યમાં વાવાઝોડાનો ભય ગુજરાત પર તોળાઈ રહ્યો છે. આવા સંજોગોમાં વાવાઝોડાની અસર આરોગ્ય સેવાઓ પર ના પડે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાવચેતીના ભાગરુપે સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલ તરફથી મળેલ સુચના મુજબ તકેદારીના પગલા લેવા અંગે જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા અને જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા વિસ્તારના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા હોય અને વાવાઝોડા સમય દરમિયાન ડીલેવરીની તારીખો આવતી હોય તેવી સગર્ભા મહિલાઓને આરોગ્યની વિવિધ સંસ્થાઓ ખાતે અગાઉથી જ સલામત સ્થળે ખસેડાઈ છે.મોરબી જીલ્લામાં આરોગ્યની જુદી જુદી સંસ્થાઓ ખાતે કુલ ૪૫ સગર્ભા બહેનોને સલામત પ્રસૃતિ માટે અગાઉથી જ સ્થળાંતર કરી દેવામાં આવી છે અને હજુ પણ સ્થળાંતર કામગીરી ચાલી રહી છે તેમજ સ્થળાંતર કરેલ સગર્ભા માતાઓ પૈકી ૨૬ની સલામત પ્રસૃતિ પણ કરવામાં આવી છે.