મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં આગામી પ્રવેશ પરીક્ષા અંગે આજે પ્રવેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય કરાયો હતો કે પીજી અને પીજી ડીપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન પ્રક્રિયાનો 15મી જૂનથી પ્રારંભ થશે.એડમિશન માટે વિદ્યાર્થીઓ તારીખ 15 જૂનથી 24 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે અંતિમ દિવસે સાંજે 6 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ તારીખ 28થી 30 જૂન સુધી યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે અને આ સમય દરમિયાન વિદ્યાર્થી પોતે ભરેલા ઓનલાઈન ફોર્મમાં ફેરફાર કરી શકશે.
ત્યારબાદ તારીખ 4 જુલાઈથી જાહેર થયેલા મેરિટ લીસ્ટ મુજબ પ્રવેશ કન્ફર્મ કરી શકાશે. આ અંગેની વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ www.mkbhavuni.edu.in પર ઉપલબ્ધ કરવામાં આવશે.વધુમાં આ સભામાં પ્રવેશ પ્રક્રિયા અંગે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.ગિરીશભાઈ પટેલ અને ડો. ઇન્દ્ર ગઢવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગેની તૈયારીઓ અંગેના આયોજન બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી. સુચારૂ રીતે પ્રવેશ પ્રક્રિયાનું આયોજન થાય અને વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શન સરળતાથી મળે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવેલ છે.