બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહજી દ્વારા પોલેન્ડવાસીઓની કરવામાં આવેલી મદદને પોલેન્ડ આજે પણ નથી ભૂલ્યું. ભૂતકાળમાં એક શાળા અને સ્કવેર બાદ નવી શરૂ થયેલી ટ્રામને જામ દિગ્વિજયસિંહનું નામ આપવામાં આવ્યું છે.પોલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસમાં હાલ આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે ભારતીય રાજદૂત નગમા મલિક અને વ્રોકલોવના મેયર જેસેફ સુત્રિકે ઈંડિયા એટ ટ્રામ-ડોબરી મહારાજા નામથી ઉદઘાટન કર્યું હતું. પોલેન્ડમાં જામનગરના પૂર્વ મહારાજા જામ દિગ્વિજયસિંહને ડોબરી મહારાજાના નામથી ઓળખવામાં આવે છે. પોલેન્ડની ભાષામાં ડોબરીનો અર્થ સારું થાય છે.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને સ્ટાલીને પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું અને પોલેન્ડને ખંઢેરમાં ફેરવી દીધું હતું. ત્યારે જ પોલેન્ડવાસીઓએ બ્રિટિશ સરકારને અપીલ કરી હતી અને પોલેન્ડનાં બાળકોને કોઈ અન્ય દેશમાં આશ્રય આપવાની માગ કરી હતી. જે-તે સમયે જામનગરના રાજવી દિગ્વિજયસિંહજી બ્રિટિશ ઈમ્પીરિયલ વોર કેબિનેટના સદસ્ય હતા.
તેમને ખબર પડતાં જ તેમણે બાળકોને આશ્રય આપવા તૈયારી બતાવી હતી.જે-તે સમયે ભારત પણ આઝાદ નહોતું થયું, એમ છતાં જામ દિગ્વિજયસિંહજીએ પોતાના ખર્ચે એક હજાર જેટલાં બાળકોને આશ્રય આપવાની તૈયારી બતાવી હતી. એના માટે તેમણે જામનગર નજીક આવેલા બાલાચડી પાસે એક કેમ્પનું નિર્માણ કરાવ્યું હતું અને એક હજાર જેટલાં પોલીસ બાળકોને આશ્રય આપ્યો હતો. જામસાહેબે પોલેન્ડનાં બાળકો માટે રહેઠાણ, રમતગમત, ભોજન સહિતની તમામ સુવિધાઓ ઊભી કરી હતી. પોલેન્ડનાં બાળકો પોતાની સંસ્કૃતિ ન ભૂલે એનું પણ ધ્યાન રાખ્યું હતું. જામ રાજવીએ એક હજાર જેટલાં પોલેન્ડનાં બાળકોને અહીં ચાર વર્ષ સુધી રાખ્યા હતા.પોલેન્ડમા જામનગરના પૂર્વ રાજવી દિગ્વિજયસિંહને મહારાજાને સન્માન અપાયું છે. 1989માં પોલેન્ડ સોવિયત સંઘ થી અલગ થયું હતું ત્યારે સ્વતંત્ર પોલેન્ડની સરકારે રાજધાની વોરસોના એક ચોકનું નામ દિગ્વિજયસિંહ ના નામ પર રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2012માં વોરસોના એક પાર્ક નું નામ મહારાજા સાથે જોડવામાં આવ્યું હતું. તેમજ વર્ષ 2013માં વોરસોમા ફરી એક ચોકનું નામ ગુડ મહારાજા સ્કવેયર અપાયું હતું. પોલેન્ડમાં મહારાજાને પોતાના સૌથી મોટા નાગરિક સન્માન કમાન્ડો ફોર્સ ઓફ ધ ઇયરનું પણ મેરિટ અપાયું છે.