ભાજપને હરાવવા તમામ પાર્ટીનો સહારો લેવા કોંગ્રેસ તૈયાર: ભરતસિંહ સોલંકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ દરેક પક્ષ સાથે ગઠબંધન કરવા તૈયાર થયું છે.
વ્યક્તિઓ કરતા વિચારોનું મહત્ત્વ વધારે
રાધનપુરમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, વ્યક્તિઓ કરતાં વિચારોનું મહત્ત્વ વધારે હોય છે. શકંરસિંહ, છોટુભાઈ હોય કે અન્ય કોઈ પક્ષ, કે આમ આદમી પાર્ટી હોય તો કોંગ્રેસને કોઈ વાંધો નથી. અમારે તો ભાજપ જેવા કોમવાદી પરિબળો સાથે લડવું છે એટલે કોઈપણ પક્ષ હોય અમે તેનો સપોર્ટ લેવા તૈયાર છીએ. ગુજરાતમાં મોંઘવારી, કોરોના, લઠ્ઠાકાંડ, મોરબીની દુર્ઘટના જેવા બનાવોમાં પ્રજાને રક્ષણ કોણ આપનાર પાર્ટી સાથે અમે ગઠબંધન કરીશું.
આમ આદમી પાર્ટીના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ શું કહ્યું?
ભરતસિંહના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, આવી કોઈ વાત કરવાનો કોઈ અર્થ નથી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવતા કહ્યુ હતું કે, હું કે ભરતસિંહ આ નક્કી કરી શકીએ નહીં. તેમણે કહ્યું કે, ભરતસિંહ બોલે કે હું બોલુ તેનો કોઈ અર્થ નથી. આ નિર્ણય ભરતસિંહે લેવાનો નથી. પરંતુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, ભાજપ ગુજરાતમાં હારે તે ખુબ જ જરૂરી છે.
આલોક શર્માએ નિવેદન આપ્યું
કોંગ્રેસ પ્રવક્તા, આલોક શર્માએ ભરતસિંહનાં નિવેદન પર સ્પષ્ટીકરણ આપતા જણાવ્યુ છે કે, ભરતસિંહનું નિવેદન તેમનું વ્યક્તિગત નિવેદન છે. આપ અને કોંગ્રેસ કોઈપણ સજોગામાં એક નહિ થાય. આપનું ગુજરાતાં કોઈ અસ્તિવ જ નથી.