મહીસાગરમાં આવેલા વીરપુર તાલુકામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મહત્વનુ છે કે, અત્યારે કલસ્ટર સેમ્પલ કલેક્શનના રિપોર્ટમાં પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે. આ વ્યક્તિ દુબઇથી આવેલો છે.
મળતી વિગત અનુસાર વીરપુરના ચિરાગ મહેન્દ્રભાઈ ભાવસાર નામના શખ્સને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેવામાં એમના ક્વોરેન્ટાઇનના 28 દિવસ પુરા થઇ ગયા હતા. તેમજ બાજુમાં અરવલ્લીમાં આજે એક કેસ પોઝિટિવ આવી ગયો છે. ત્યારે પંચમહાલ, દાહોદ, અરવલ્લી, રાજસ્થાન બોર્ડર બધી બાજુ કેસ પોઝિટિવ આવ્યા છે અને અત્યારે મહીસાગરમાં એક કેસ પોઝિટિવ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે દિવસ દરમિયાન કોરોનાના નવા 58 કેસ નોંધાયા છે. જેમાં 53 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 167 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 73 દર્દીઓને સાજા થતાં રજા આપી દેવામાં આવી છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 929 નેગેટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે, તમામની સારવાર થઈ રહી છે.