અત્યારે જૂનાગઢ શહેરમાં જે ગટર બની રહી છે એ મૂળ યોજના છેક વર્ષ 2009 ની છે. એ વખતે રાજ્ય સરકારે આખા જૂનાગઢ શહેરમાં મેઇન તેમજ શેરી, ગલી, સોસાયટી સહિત બધે નવી ગટર બનાવવાની હતી. પણ એ વર્ષે મનપામાં કોંગ્રેસને સત્તા મળી એટલે અથવા કોઇપણ કારણે તેની અમલવારીજ ન થઇ. તે છેક 10 વર્ષે એ કામ હાથ પર લેવાયું ત્યારે તેની કિંમત 640 કરોડે પહોંચી ગઇ છે.જેમાં કન્સલ્ટન્ટ કંપનીએ શેરી-ગલીની ગટરનું લેવલ પણ અણઘડ હોવાથી એ પણ નવી બનાવવાનું સુચન કર્યું હતું. પણ શાસકોએ એ માંગણી ફગાવી દીધી. અને ફક્ત મુખ્ય લાઇનજ 244 કરોડના ખર્ચે નવી બનાવવાનો નિર્ણય કર્યો. કારણકે, શેરી અને ગલીઓમાં રસ્તાની ગ્રાન્ટો પડી હતી એ વાપરવાની ઉતાવળ હતી. આથી જેવું ઓવરબ્રિજને બદલે અન્ડરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું એમાં પણ એવુંજ થયું.
હવે પાછળથી જ્યારે ખબર પડી કે શેરી-ગલીની જૂની ગટરો ચાલે એમ નથી ત્યારે 344 કરોડની શેરીની ગટરો માટે જનરલ બોર્ડમાં સૈદ્ધાંતિક મંજૂરી લીધી છે. જો પહેલેથીજ મેઇનની સાથે શેરી-ગલીનો પ્લાન બનાવ્યો હોત તો બધું એકસાથે અને વ્યવસ્થિત આયોજન થાત. હવે થશે એવું કે, અત્યારે મેઇન ગટરનું જે કામ છે એ ત્રણેક વર્ષ ચાલશે. એ દરમ્યાન શેરીના રસ્તા બનશે. અને શેરીની ગટર બનાવવાની આવશે ત્યારે એ રોડ ખોદવા પડશે. એ ઝીણું કામ છે એટલે લાંબો સમય ચાલશે એટલે આખા શહેરમાં ઠેર ઠેર ખોદાયેલા રસ્તા લોકોની મુશ્કેલીમાં વધારો કરશે.