માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર થયા છે. મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ક્રિમિનલ ડિફેમેશન કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી પોતાનું અંતિમ નિવેદન આપવા માટે સુરત પહોંચ્યા છે. સુરતના મુખ્ય મેજિસ્ટ્રેટ એ.એન.દવેએ એક અઠવાડિયા પહેલા રાહુલ ગાંધીને આદેશ આપ્યો હતો કે તેઓ 24 જૂનના રોજ કોર્ટમાં હાજર રહે. જેને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીને આવકારવા સુરત એરપોર્ટ પર અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પહોંચ્યાં હતાં.
રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા કોર્ટ જવા રવાના થયા હતાં. ત્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં નિવેદન આપ્યા બાદ કોર્ટથી સીધા દિલ્હી જવા નીકળ્યા હતા. તેમણે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. મોદી સમાજ વિશે આપેલા નિવેદન વિશે પૂછતા તેમણે કહ્યું કે, મને આ વિશે ખબર નથી. ત્યારે કોર્ટ દ્વારા 12 જુલાઈના રોજ આગામી તારીખ આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ, 2019ના રોજ એક રેલીમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યુ હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી…આ તમામના નામમાં મોદી લાગેલું છે. તમામ ચોરોનાં નામમાં મોદી કેમ હોય છે? નોંધનીય છે કે તેમણે જ્યારે આ ટિપ્પણી કરી હતી ત્યારે તે કોંગ્રેસ અધ્યક્ષ હતા.
ગુજરાત : રાહુલ ગાંધીએ કોર્ટમાં નિવેદન આપ્યું, કહ્યું! મને આ વિશે ખબર નથી..
Leave a comment
Leave a comment