માળીયા તાલુકાના કારીંભડાના નિમુબેન વાલજીભાઇ સગર નામની મહિલાને છઠ્ઠી વખતનો ગર્ભ હતો. અને સાતમા મહિને પ્રસુતિની પીડા ઉપડતાં માળીયા સરકારી દવાખાને દાખલ કરાયા હતા. પરંતુ માતા અને બાળક બંનેની સ્થિતી જોખમી હોઈ આગળની સારવાર માટે સરકારી એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સિવીલમાં દાખલ કરવા રવાના કરાયા હતા.જોકે, એમ્બ્યુલન્સ માણેકવાડા પહોંચી ત્યાંજ બાળકનો જન્મ થવા લાગતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે સમય સુચકતા દાખવી 108 ની મદદ લીધી.
અને માત્ર 5 મિનિટમાં જ વંથલી 108 ટીમના ડો. હર્ષાબેન વાજા તથા પાયલોટ હિતેન્દ્રભાઇ પીડિતા સુધી પહોંચી ગયા. તપાસ કરતાં માતા શોકમાં જઈ રહી હોવાનું અને બાળક શ્વાસ ન લઈ રહ્યું હોવાનું માલુમ પડ્યું.બાળકના ધબકારા પણ બંધ હતા. આથી તેને ઓક્સિજન CPR, BVM અને ઇમર્જન્સી રિસ્પોન્સ સેંટર ફિઝીશ્યનની સલાહ અનુસાર દવાઓ આપી સારવાર કરતાં બાળકનું હ્રદય ધબકવા લાગ્યું હતું. અને કુત્રિમ શ્વાસોશ્વાસ આપી બાળકને ખાનગી હોસ્પિટલ તેમજ માતાને સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં ખસેડાઇ હતી.