જામનગરમાં આમતો અનેક સરકારી શાળાઓ આવેલી છે, પરંતુ બેદી ગેટ અને સુપર માર્કેટિંગ પાસે 144 વર્ષ જૂની નવાનગર સરકારી હાઈસ્કૂલ આવેલી છે. વર્ષ 1876માં જામનગરના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાએ નવાનગર હાઈસ્કૂલની સ્થાપના કરી હતી. આજે પણ વર્ષો જૂની શાળાની ઇમારત અડીખમ ઉભી છે. જો કે ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે તેને નુકશાન પહોંચ્યું હતું, ત્યારબાદ વર્ષ 2004માં શાળાનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. ઘેરાવદાર વૃક્ષો આ શાળાની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.નવાનગર સરકારી હાઈસ્કૂલની એક ખાસિયત એ પણ છે કે અહીં કુલ 36 ક્લાસરૂમ આવેલા છે, આ તમામ ક્લાશરૂમને ભારતના મહાપુરુષોનું નામ આપવામાં આવ્યું છે, જેમાં ડૉ. રાધાકૃષ્ણ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભગતસિંહ, ઝવેરચંદ મેઘાણી સહીત અનેક મહાપુરુષોનો સમાવેશ થાય છે.
એટલું જ નહીં જે કલાસરૂમ પર જે મહાપુરુષનું નામ હોઈ તેનો ફોટૉ અને તેમના જીવન વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી ક્લાસરૂમમાં પ્રવેશ કરતી વખતે બાળકોને તેમના જીવનમાંથી પ્રેરણા મળી શકે.નવાનગર સરકારી હાઈસ્કૂલમાં લાઈબ્રેરી, કમ્પ્યુટર રૂમની પણ સુવિધા છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે આજથી અંદાજે 50 વર્ષ પહેલા પણનવાનગર સરકારી શાળામાં ટેકનિકલ શિક્ષણ પણ આપવામાં આવતું હતું.જેમાં બાળકોને લુહારી, સુથારી, લેથ મશીનની તાલીમ પણ આપવામાં આવતી હતી.જેથી ભવિષ્યમાં બાળકો પોતાનો વ્યવસાય પણ કરી શકે અને પગભર બાની શકે. આજે પણ નવાનગર સરકારી શાળા જામનગર જિલ્લાની એક માત્ર હાઈસ્કૂલ છે કે જ્યાં ટેક્નિકલ શિક્ષણઆપવામાં આવે છે.