ગાંધીનગરના માણસા ખાતે આવેલી સ્કૂલના 9માં ધોરણની પરીક્ષામાં એક હેરાન કરનારો સવાલ પૂછવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછવામાં આવ્યું હતું કે ગાંધીજીએ આત્મહત્યા કેવી રીતે કરી હતી? પરીક્ષામાં આ સવાલ પુછાવાની સાથે જ શિક્ષણ વિભાગ સ્તબ્ધ થઇ ગયું હતું અને આ અંગે તપાસ પણ શરુ કરી દીધી હતી. સુફલામ શાળા વિકાસ સંકુલ સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ અને શૈક્ષણિક સંસ્થાઓનું સંગઠન છે, જેને ગાંધીનગરમાંથી સરકારી ગ્રાન્ટ પણ પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ ગાંધીનગર જિલ્લાની બીજી સરકારી સ્કૂલમાં 12માં ધોરણની પરીક્ષામાં એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે જેને જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પરીક્ષામાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમારા વિસ્તારમાં દારૂના વેચાણ અને બુટલેગરો દ્વારા કરવામાં આવતી કનડગત અંગે જિલ્લા પોલીસ પ્રમુખને પત્ર લખો. આપને જણાવી દઈએ કે ગાંધીના ગુજરાતમાં દારૂના વેચાણ કે પીવા પર સદંતર પ્રતિબંધ છે. આ અંગે ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું, આ બંને સવાલ શનિવારના રોજ પેપરમાં આંતરિક પરીક્ષા દરમિયાન પુછવામાં આવ્યા હતા. આ બંને પ્રશ્નો આપત્તિજનક હતા અને આ અંગે અમે તપાસ શરુ કરી દીધી છે. રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.