આજથી ત્રણ વર્ષ પહેલા રાજ્ય સરકાર આયોજીત સેવા સેતુ કાર્યક્રમ થકી ઘર આંગણે મેળવેલું આયુષ્માન ભારત કાર્ડ અબ્દુલભાઈની વ્હારે આવ્યું છે. દીકરા ઉસામાની શારિરીક સમસ્યાના નિવારણ માટે શરૂઆતમાં અબ્દુલભાઈએ પાટણ શહેરના સ્થાનિક પીડિયાટ્રીશિયન પાસે સારવાર કરાવી હતી. બાળકના મેડિકલ રિપોર્ટ્સ પરથી ડૉક્ટરે ઑપરેશન કરાવવાની સલાહ આપી હતી. જોકે સારવારનો ખર્ચ કરવા અસમર્થ અબ્દુલભાઈએ બાલીસણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરનો સંપર્ક કરતાં તેમણે ઉસામાનો કેસ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઑફિસરને રિફર કર્યો હતો.
38 દિવસના બાળક ઉસામાને અમદાવાદની જયદિપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજા જ દિવસે નિષ્ણાંત તબીબો દ્વારા તેનું સફળ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ઉસામાને મેડિકલ ટર્મમાં કન્ઝનાઈટલ હાઈપરટ્રોફિક પાઈલોરીક સ્ટેનોસીસ તરીકે ઓળખાતી શારિરીક સમસ્યા હતી, જેમાં જઠર અને આંતરડાને જોડતો ભાગ સાંકડો હોય છે. આ જન્મજાત તકલીફના કારણે નવજાત બાળક તેના પોષણના એકમાત્ર સહારા સમાન માતાનું ધાવણ ગણતરીની મિનિટોમાં વોમિટીંગ કરી બહાર કાઢી નાંખતું હતું. જોકે આધુનિક સુવિધાઓથીયુક્ત ખાનગી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવેલી સર્જરી બાદ હાલ ઉસામા સ્વસ્થ છે. બાળકના ઑપરેશન ઉપરાંત હોસ્પિટલમાં રહેવાનો તથા ઘરે પાછા જવા ભાડા સહિતનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.