સમગ્ર વિશ્વ અને ભારતને ભરડામાં લેનાર કોરોના મહામારી સામે સૌને રક્ષણ મળી રહે એ હેતુથી સમગ્ર દેશમાં કોરોના પ્રતિકારક રસી મૂકવાની શરૂઆત થઈ ચૂકી છે. જે અંતર્ગત ૧લી માર્ચથી શરૂ થયેલ બીજા તબક્કામાં જિલ્લામાં ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો અને ૪૫ થી ૫૯ વર્ષના નાગરિકો કે જેઓને કોઈ મોટી બિમારી છે એમને કોરોના પ્રતિકારક રસી આપવાની શરૂઆત કરાઈ છે.જેના ભગરૂપે પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાના એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરે દરેક એન.જી.ઓ.ના પ્રતિનિધિઓને જણાવ્યુ હતું કે કોરોના મુક્ત ભારત કરવા માટે આપના જેવી સ્વૈચ્છિક સંસ્થાઓનો ખુબ સહયોગની આવશ્યકતા છે. જેમાં પ્રતિનિધિઓએ કોરોના રસી સંપૂર્ણ સૂરક્ષિત છે, રસીની કોઇ આડ-અસર નથી તેવી માહિતી દરેક નાગરિકો સુધી પહોંચાડવા માટે જણાવાયુ હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.એસ.આર્ય, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અલ્પેશ સાલ્વી તથા એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.