અસત્ય પર સત્યના વિજયની ઉજવણી પ્રસંગે વિજયા દશમી દશેરા નિમિત્તે વડોદરાના પોલો મેદાનમાં રામલીલા યોજાઈ હતી. દશેરાના પર્વ નિમિત્તે શહેરના પોલો મેદાન ખાતે ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત રીતે રામલીલાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.એ પછી રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.રાવણની સાથે સાથે મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનુ પણ ભવ્ય આતશબાજીની વચ્ચે દહન કરવામાં આવ્યુ હતુ. ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા છેલ્લા 39 વર્ષોથી પોલો મેદાનમાં દશેરાના પર્વે રામલીલા બાદ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. મંગળવારે રાત્રે દશેરાના પર્વે પોલો મેદાનમાં તમામ કોમના લોકોએ અસત્ય પર સત્યના વિજયને વધાવી દેશમાં રામરાજ્યની સ્થાપના થાય એવી મનોમન પ્રાર્થના કરી હતી. સૌથી મહત્વની વાત તો એ હતી કે આ વર્ષે રામલીલામાં આતંકવાદનો સફાયો તેમજ રામરાજ્યની સ્થાપનાની કથા – વસ્તુ આવરી લેવાઈ હતી. સ્ટેજ પર હિન્દૂ- મુસ્લિમ સહિત વિવિધ કોમના કલાકારોએ રામલીલા ભજવી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કર્યા હતા.