રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવો પણ સતત વધી રહ્યા છે. તેવામાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. હિંમતનગરના કાટવાડ પાસે ઘન કચરામાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતું. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબુમાં લેવા માટે આશરે 17 કલાકમાં હજારો લીટર પાણી વાપરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ આગ કાબુમાં આવી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાવા પામી નહતી. મહત્વનું છે કે, હિંમતનગરમાં ઘન કચરા સાઈટ પર આગ લાગવાની ઘટના છાશવારે સામે આવતી રહે છે. અહીં ચોકીદાર હોવા છતાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે જેને લઈ સવાલ ઉભા થયા છે.