મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સુરતમાં કોરોનાના વધતા કેસ, કોરોના સંક્રમિત દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે તે માટે બેડની સુવિધામાં વધારો કરવા, વેન્ટિલેટર, ઓક્સિજનની સુવિધા, જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રસીકરણમાં ઝડપ લાવવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા ત્રણ T- ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપનાવવા તેમજ લોકો માસ્ક પહેરે અને પૂરતું અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મૂકવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોર કાનાણી, સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સાંસદશ્રી દર્શનાબેન જરદોશ, સુરતના ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી જયંતી રવી, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, પોલીસ કમિશનરશ્રી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા- વિચારણા કરી હતી.