છોટાઉદેપુર: સાંભળવામાં થોડું અજુગતું લાગશે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામ (Kevdi Village) ખાતે આવેલી એક દુકાનના દરવાજા છેલ્લા 30 વર્ષથી બંધ નથી થયા. એટલે કે દુકાનદારે ક્યારેય દુકાનના દરવાજા બંધ નથી કર્યાં. એટલું જ નહીં, દુકાનદાર જ્યારે પોતાની દુકાનમાં ન હોય ત્યારે પણ ગ્રાહકો અહીંથી વસ્તુઓ લઈ શકે છે. ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ લઈને દુકાનના ગલ્લામાં પૈસા મૂકી દે છે. આ સિલસિલો છેલ્લા 30 વર્ષથી ચાલે છે. દુકાનદારનું કહેવું છે કે તેની દુકાનમાં ક્યારેય ચોરી પણ નથી થઈ.દુકાન માલિક શાહીદભાઈએ ગામ લોકોને જાણે કે ઈમાનદારીના પાઠ શીખવાડ્યા છે. કારણ કે તેમની દુકાનમાં ક્યારેય રજા નથી રહેતી. તેઓ પોતાની દુકાનના દરવાજા ક્યારેય બંધ નથી કરતા. બારે મહિના અને 24 કલાક તેમની દુકાન ખુલ્લી રહે છે
અહીં ગામ લોકો ઇમાનદારીથી વસ્તુઓની ખરીદી કરી છે. પહેલા તો દુકાનમાં સાવ દરવાજા જ ન હતા. બાદમાં તેમણે મોલ જેવી દુકાન બનાવી છે. કોઈ પશુ નુકસાન ન કરે તો માટે તેમણે દુકાન ફરતે જાળી કરી છે. જોકે, દુકાનના દરવાજા તો ખુલ્લા જ રહે છે.મીની મોલની માફક બનાવેલી દુકાનને કારણે ગામના લોકોએ શહેરમાં ખરીદી કરવા જવું પડતું નથી. દરેક વસ્તુ અહીં જ મળી રહે છે. ઘરવખરીનો સમાન હોય કે અનાજની જરૂરિયાત હોય, કે પછી મકાન બનાવવા માટેની સાધન સામગ્રી હોય, તમામ વસ્તુ એક જ જગ્યાએ મળી રહે છે. વર્ષોથી ચાલતી આ દુકાનમાં આજ દિવસ સુધી ચોરી નથી થઈ. ગામના લોકોને આર્થિક મુશ્કેલી પડે તો દુકાનદાર તેમની મદદ પણ કરે છે.