હિંમતનગર રહેતા શિક્ષક દ્વારા પ્રકૃતિની ચિંતા સાથે માતાના નિધન બાદ યોજાયેલ બેસણામાં 450 જેટલા રોપાનું પ્લાસ્ટિકની થેલી દૂર કરી કાગળની થેલીમાં વિતરણ કરાયું હતું. હિંમતનગર શહેરના બ્રહ્માણીનગરમાં રહેતા અને વકતાપુર પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશભાઈ રાવલના માતા ચંપાબેન કાન્તિલાલ રાવલનું 80 વર્ષની વયે નિધન થયા બાદ સોમવારે બેસણું રાખવામાં આવ્યું હતું. યોગેશભાઇએ જણાવ્યું કે અત્યારથી નહીં જાગીએ તો આવનારી પેઢી માફ નહીં કરે વૃક્ષ વાવવા રોપા લેવા માટે નર્સરી સુધી જવાનો કોઈની પાસે સમય નથી. પક્ષીઓ માટે માળા બાંધવાનું સ્થાન પણ ન રહેતા પક્ષીઓના અસ્તિત્વ સામે પણ સંકટ તોળાઈ રહ્યું છે. જેના કારણે બેસણામાં આવનાર વ્યક્તિઓને રોપા આપવાનું નક્કી કરી લીમડો, આસોપાલવ, સપ્તપર્ણી બોરસલ્લી, સેવન જેવા ઘટાદાર છાંયડો આપે તેવા વૃક્ષના રોપા અને ચીકુ, દાડમ, લીંબુ, જાંબુ, જામફળ જેવા ફળાઉ ઝાડના 450 જેટલા રોપા દરેકને આપ્યા હતા અને પ્લાસ્ટિકની કોથળી દૂર કરી કાગળની બેગમાં રોપા આપવાની તકેદારી રાખી હતી. સામાન્ય રીતે આવા પ્રસંગોએ ધાર્મિક પુસ્તકો, પ્રસાદ વગેરેનું વિતરણ કરવામાં આવતું હોય છે પરંતુ રોપા આપીને શિક્ષકે પ્રકૃતિ જતન માટે નવો ચીલો ચાતર્યો હતો.