ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સહિતની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના નિરીક્ષણ બાદ રાત્રી ઈમરજન્સી આવતા તત્કાલીક ધોરણે સ્થાનીક આગેવાનો દ્વારા કોવિડ કેર સેન્ટરનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ડભોઇ પંથકમાં કોરોનાની સ્થિતિ વકરી રહી હોય જીલ્લા અને રાજ્ય સરકારના સહિયોગ અને ધારાસસભ્ય શૈલેષભાઈ મહેતાના અથાક પ્રયત્નોથી ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે 30 જેટલા બેડનું કોવિડ કેર સેન્ટર ઑક્સીજનની સુવિધા સાથેનું ઊભું કરવામાં આવ્યું છે.
ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર સાલીની અગ્રવાલ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને બીજા દિવસથી જ સેન્ટર ખુલ્લુ મૂકવા સૂચનો કર્યા હતા પણ રાત્રીના કોરોનાના એક ઈમરજન્સી દર્દી માટે સ્થાનીક આગેવાન અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ના ચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, ડો.બી.જે.બ્રહ્મભટ્ટ, સમીરભાઈ પટેલ સહિત ડો.અજય સિંહ સહિત મેડીકલ સ્ટાફ દ્વારા તાત્કાલીક રાત્રીના જ રીબીન કાપી કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલ આ સેન્ટર ખાતે બે જેટલા કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ડભોઇ તાલુકાના કોરોના દર્દીઓને ઑક્સીજન સહિતની સુવીધા હવે ડભોઇમાં જ મળી રહેતા નગર તેમજ તાલુકાના રહીશોમાં ભારે આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.