ભારતના એક સમૃદ્ધ રાજ્ય તરીકે શાનથી શોભતુ ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રથી ઘેરાયેલું છે. ભારતના 75માં સ્વાતંત્ર્ય દિવસ 2022 ઉજવણીના અવસરે ગુજરાતની ભૌગોલિક અને જૈવ વૈવિધ્યતાને યાદ કરી લઇએ.
ગુજરાતની પર્વત માળાઓ
ગરમ પ્રદેશ ગુજરાતમાં સાપુતારા એ ગુજરાતના નાગરિકોનું માનીતું એક માત્ર હિલ સ્ટેશન છે. ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળાએ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.
ગુજરાતની પ્રાકૃતિક સ્થિતિ
ગુજરાતનું વાતાવરણ મોટેભાગે શુષ્ક રહે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં બે રણપ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે, જે એશિયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે 1600 કિ.મી.નો દરિયા કિનારો છે જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે.
આપણો ગરવો ગઢ ગિરનાર
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો ગીરનાર પર્વતએ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ 1145 મીટર અને લંબાઈ 160 કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાથ ટૂંક તરીકે ઓળખાય છે. પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે. તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં પણ 3 પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો ડુંગર એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળાનો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષિણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.
રાજયની ભૌગોલિક સ્થિતિ
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર કુદરતી એકમો તરીકે અલગ તરી આવે છે. કચ્છનો પ્રદેશ કાંઠા પાસેની ભીની અને પોચી જમીનવાળો હોવાથી કચ્છ કહેવાયો છે. એની અંદર ઉત્તરે મોટા રણનો અને પૂર્વે તથા દક્ષિણપૂર્વે નાના રણનો સમાવેશ થાય છે. આ રણ ખારાપાટના વેરાન પ્રદેશો છે. એ ઘણા છીછરા હોઈ ચોમાસામાં જળબંબાકાર થઈ જાય છે. કચ્છ અને સૌરાષ્ટ્રની વચ્ચે આવેલા અખાતને કચ્છનો અખાત કહે છે. સૌરાષ્ટ્ર હાલ દ્વીપકલ્પ છે, પરંતુ પુરાતન કાળમાં એ દ્વીપ હતો. હજી એનો ઉત્તરપૂર્વ ભાગ છીછરો હોઈ ચોમાસામાં ઘણે અંશે જળબંબાકાર થઈ જાય છે.
પ્રજા ઘડતરમાં છે કઈક આવું રાજ્ય
ગુજરાતની ધરતી ઓછેવત્તે અંશે ધાન્ય વગેરેની પેદાશ માટે ફળદ્રુપ ગણાય છે. આબોહવા પણ એકંદરે સમશીતોષ્ણ છે. ધરતીના પેટાળમાંથી ખનીજ સંપત્તિ પણ ભૂસ્તર-અન્વેષણાને લઈને હવે વધુ ને વધુ મળી છે. આ ભૌગોલિક લક્ષણોએ ગુજરાતની પ્રજાના ઘડતરમાં પણ ઘણી અસર કરી છે. પહાડો અને જંગલોએ આદિમ જાતિઓને આશ્રય આપ્યો છે. સમુદ્રકાંઠા પાસે તથા મોટી નદીઓના કાંઠા પાસે માછીમારીનો, મીઠું પકવવાનો, મછવા ચલાવવાનો અને વહાણવટાનો ધંધો ખીલ્યો છે. દેશના અને દુનિયાના બીજા ભાગોમાંથી કેટલીક લડાયક તથા વાણિજ્યિક જાતિઓ અહીંનાં ખુલ્લા મેદાનોમાં આવી વસી હતી.
આવી છે ગુજરાતની જનતા
અહીંની પ્રજાનો મોટો વર્ગ ખેતી, પશુપાલન અને હુન્નરકલાઓના ધંધારોજગાર કરે છે. ગુજરાતનો વણિકવર્ગ જમીન-માર્ગે તેમજ જળમાર્ગે દેશવિદેશના વેપારમાં તથા વહાણવટામાં કુશળ થયો. પરિણામે ગુજરાતની પ્રજાના માનસમાં મળતાવડો સ્વભાવ, કલહ-ભીરુતા, શાંતિપ્રિયતા, ધરછોડની વૃત્તિ ઇત્યાદિ લક્ષણો જોવા મળે છે.
ગુજરાતની જૈવિક વિવિધતા
ગુજરાતમાં જૈવીય વિવિધતા છે તેમાં વનસ્પતિ 7000 જાતિઓનું અને 2728 પ્રાણીઓની જાતિ જોવા મળે છે. કચ્છના મોટા રણમાં સ્થળાંતરિત પક્ષીઓની મોટી સંવર્ધન ભૂમિ ગણાય છે. તો ઘુડખર અભયારણ્ય, રામસર સાઇટ નળ સરોવર પણ જાણીતાં છે. વલસાડનું પેઇન્ટેડ દેડકા, ભાવનગરમાં કાળિયાર ઉદ્યાન, જૂનાગઢનું ગીર એશિયાઇ ગીરોનું નિવાસસ્થાન છે. કચ્છના નારાયણ સરોવરની આસપાસના ક્ષેત્રમાં ચિંકારા, ખડમોર, ઘો જેવા પ્રાણીઓ મળે છે તો, પંચમહાલનું રતનમહાલ રીંછનું નિવાસસ્થાન છે. નર્મદાના શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યામાં ઉડતી ખિસકોલી જોવા મળે તો સાબરકાંઠા અને બનાસકાંઠાના જંગલોમાંથી સફેદ મૂસળી ઉપલબ્ધ થાય છે.