જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ આઠમના દિવસને સમગ્ર ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. તમામ મંદિરોમાં આ દિવસે વહેલી સવારથી જ લોકો ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં દર્શન કરવા જતા હોય છે. ત્યારે અમદાવાદનાં ઈસ્કોન મંદિરમાં પણ દર વર્ષની જેમા આ વર્ષે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે જન્માષ્ટમીની ઉજવણી દેશ ભરમાં કરવામાં આવશે ત્યારે આઠમ પૂર્વે પણ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક મેળવવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
મહત્વનું છે કે અનેક ભક્તો આઠમના દિવસે આખા દિવસ દરમિયાન ઉપવાસ કરશે અને કૃષ્ણ જન્મોત્સવ બાદ ચરણામૃત લઈ મોડી રાત્રે પોતાનો ઉપવાસ ખોલશે. જણાવી દઈએ કે આ એક માત્ર તહેવાર છે કે જેમાં ભક્તોને ભગવાનનાં બાળ અવતારનાં દર્શન કરવાનો અવસર મળતો હોય છે. ત્યારે જન્માષ્ટમીનાં અવસરને લઈને તમામ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી.