દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા 15 લાખને પાર પહોંચી ગઈ છે. તેવામાં અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ બધાની વચ્ચે કોરોનાનો કહેર હજી ગુજરાતમાં પણ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાએ હવે રફ્તાર પકડી હોય તેમ લાગી રહ્યું છે. 28 જુલાઈ સાંજથી 29 જુલાઈ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1144 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 59126 થઈ ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 783 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 24 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2396 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 43195 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 291 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 152, વડોદરામાં 95 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં 80, ગાંધીનગરમાં 50, ભાવનગરમાં 35 અને મહેસાણામાં 36 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 13535 એક્ટિવ કેસ છે. જેમાં 89 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 13446 સ્ટેબલ છે.