શનિવારે સવારે રાજધાની દિલ્હીમાં ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે દિલ્હી એરપોર્ટ પરથી ઓછામાં ઓછી 18 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. શનિવારે આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટને જયપુર, લખનૌ, અમદાવાદ અને અમૃતસર તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે સવારે 8:10 વાગ્યે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
શનિવારે રાજધાનીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. જેના કારણે ઘણા ભાગોમાં વિઝિબિલિટી પ્રમાણમાં ઓછી હતી અને શહેરના ઘણા વિસ્તારો પણ ધુમ્મસની ચાદરથી ઢંકાઈ ગયા હતા.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આનંદ વિહાર અને અશોક વિહારમાં હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ તરીકે નોંધવામાં આવી હતી. શનિવારે સવારે 6 વાગ્યે, આનંદ વિહારમાં AQI રીડિંગ 388 હતું, જ્યારે અશોક વિહારમાં AQI રીડિંગ 386 હતું. સત્તાવાર માહિતી અનુસાર, સવારે 10:00 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI)ના ટર્મિનલ 3 પર AQI રીડિંગ 375 હતું.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે
શનિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું. હવામાન વિભાગે દિવસભર ધુમ્મસ રહેવાની આગાહી કરી છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ સવારે 8.30 વાગ્યે 100 ટકા નોંધાયું હતું.
દિલ્હી જતી વિસ્તારાની ત્રણ ફ્લાઈટ પણ ડાયવર્ટ કરવામાં આવી છે
દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે શનિવારે દિલ્હી જતી વિસ્તારાની ત્રણ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. એક ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે બે ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી છે.
વિસ્તારા એરલાઈન્સે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટ UK954 અને ફ્લાઈટ UK928 (BOM-DEL)ને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. પોસ્ટ અનુસાર, ફ્લાઇટ UK954 સવારે 8:42 વાગ્યે જયપુર પહોંચી, જ્યારે ફ્લાઇટ UK928 સવારે 9:45 વાગ્યે અપેક્ષિત હતી.
તેવી જ રીતે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ UK906 (AMD-DEL)ને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી અને તે સવારે 10:00 વાગ્યે પહોંચવાની ધારણા હતી.
વિસ્તારા એરલાઈન્સે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમદાવાદથી દિલ્હી (AMD-DEL)ની ફ્લાઈટ UK906 દિલ્હી એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીને કારણે અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે અને તે રાત્રે 10:00 વાગ્યે અમદાવાદ પહોંચે તેવી અપેક્ષા છે.”
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં ગ્રૅપ-3 હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ગ્રૅપ-1 અને 2નો કડક અમલ થાય.
નોંધનીય છે કે, 0 થી 100 સુધીની હવા ગુણવત્તા સૂચકાંક ‘સારી’ છે, 100 થી 200 ‘મધ્યમ’ છે, 200 થી 300 ‘નબળી’ છે, 300 થી 400 ‘ખૂબ નબળી’ છે અને 400 થી 500 કે તેથી વધુ ‘ગંભીર’ છે. ‘. એવું મનાય છે.