નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે મધ્યરાત્રિથી 13 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા, જે અત્યાર સુધી ચાલુ છે. ટેરર ફંડિંગ કેસમાં કરવામાં આવી રહેલી આ કાર્યવાહીમાં PFIના 106 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધરપકડ કરાયેલા લોકોમાં સંગઠનના વડા ઓમા સલામ પણ સામેલ છે.
NIA અને EDની આ કાર્યવાહી ઉત્તર પ્રદેશ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, આસામ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, પુડુચેરી અને રાજસ્થાનમાં ચાલી રહી છે. અહીં, કાર્યવાહી વચ્ચે, ગૃહ મંત્રાલયમાં ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા અને NIAના મહાનિર્દેશક હાજર હતા.
દરોડા શા માટે પડ્યા, 3 કારણો…
1. રાજ્યોમાં ટેરર ફંડિંગના આરોપ- NIA અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને હૈદરાબાદમાં આતંકી ગતિવિધિઓને વધારવા માટે મોટી સંખ્યામાં ટેરર ફંડિંગ કરવામાં આવ્યું છે. લિન્ક ચેક કર્યા બાદ તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે.
2. ટ્રેનિંગ કેમ્પ લગાવવાના આરોપ- સૂત્રોના જણાવ્યા પ્રમાણે NIAને માહિતી મળી છે કે PFI છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા રાજ્યોમાં મોટા પાયે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરી રહ્યું છે. જેમાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવાની સાથે લોકોનું બ્રેઈનવોશ પણ કરવામાં આવી રહ્યું હતું.
3. ફુલવારી શરીફની લિંક- જુલાઈમાં પટના નજીક ફુલવારી શરીફમાં મળી આવેલા આતંકી મોડ્યુલને લઈને પણ દરોડા પાડવામાં આવ્યા છે. ફુલવારી શરીફમાં PFIના સભ્યો પાસેથી ઈન્ડિયા 2047 નામનો 7 પાનાનો દસ્તાવેજ પણ મળી આવ્યો હતો. જેમાં આગામી 25 વર્ષમાં ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની યોજના હતી.
દરોડાના વિરોધમાં પીએફઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા
કેરળના મલ્લપુરમ, તમિલનાડુના ચેન્નાઈ, કર્ણાટકના મેંગલુરુમાં NIA, EDના દરોડા સામે PFIના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. કેરળમાં કાર્યકરોએ પણ રસ્તો રોક્યો હતો, જેને હટાવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો.
અહીં PFIએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સી અમને હેરાન કરી રહી છે. PFIએ શુક્રવારે કેરળમાં એક દિવસીય હડતાળનું એલાન કર્યું છે.
જુલાઈમાં પટના પોલીસે ફુલવારી શરીફમાં દરોડા પાડીને આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. ખુલાસો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદીઓના નિશાના પર હતા. સપ્ટેમ્બરમાં, આ કેસમાં PFI કાર્યકરોના નામ સામે આવ્યા બાદ NIAએ બિહારમાં દરોડા પાડ્યા હતા.
કર્ણાટકના ઉડુપીમાં આ વર્ષની શરૂઆતમાં હિજાબનો વિવાદ શરૂ થયો હતો. કર્ણાટક સરકારના મતે આ વિવાદ પાછળ પીએફઆઈના કાર્યકરોનો પણ હાથ હતો. સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે પીએફઆઈના કાવતરાના કારણે કર્ણાટકમાં હિજાબ વિવાદ ઉભો થયો.