જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવાયા બાદથી અસામાન્ય બનેલ જનજીવન ફરી એકવાર પાટા પર ચડતુ નજરે પડી રહ્યુ છે. સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતી જોવા મળી રહી છે ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે રાજ્યના વહિવટી તંત્રએ રાજ્યની તમામ સ્કુલ-કોલેજો અને સરકારી કચેરીઓને સોમવારથી પૂનઃકાર્યરત કરવાનો નિર્દેશ જાહેર કરી દીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી કાર્યાલય અને સચિવાલય શુક્રવારથી કામકાજ શરુ કરી દેશે. આ વચ્ચે આર્ટિકલ 370ની જોગવાઈઓને ખત્મ કરવા વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજીકર્તાને કહ્યું કે, જાણકારીની પુષ્ટી કર્યા વગર, માત્ર થોડી સુચનાઓને આધારે અરજી દાખલ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, સ્વતંત્રતા દિવસ દરમિયાન પ્રદેશની સ્થિતિની સમીક્ષા કર્યાબાદ પ્રશાસને આ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે મીડિયા પર પ્રતિબંધ હટાવવા સંબંધી અરજી પર એક વખત ફરી કહ્યું છે કે, પ્રદેશની સ્થિતિ સ્થિર કરવા માટે સરકારને થોડા સમય મળવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટેમાં જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓ દિવસેને દિવસે સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરી રહી છે. મહત્વનું છે કે, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કશ્મીર પરથી આર્ટિકલ 370 ખત્મ કરવા સંબંધી કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સુરક્ષાને લઈને સ્કુલ, કોલેજ, સરકારી ઓફિસ સહિત અનેક સંસ્થાઓ બંધ કરી દીધી હતી.