અફઘાન આતંકીના સ્કેચ મામલે મુખ્યમંત્રીનું નિવેદન

admin
2 Min Read

ભારતભરમાં ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જિલ્લા એસઓજી અને તમામ પોલીસને એક ફેક્સ મેસેજ કરાયો છે. જેમાં ચાર જેટલા લોકો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ આપવામાં આવ્યા છે. તેમાંનો એક શખ્સ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું પણ જણાવાયું છે. તો બીજીબાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે આવી વાત કોઇ રેકર્ડ પર નથી. મીડિયામાં આવી રહ્યું છે તે વધુ પડતું છે. ગુજરાત એટીએસ અને મુખ્યમંત્રીની વાતમાં મતભેદ જોવા મળી રહ્યો છે. સોમનાથ દર્શન કરવા આવેલા વિજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ એક્ટીવલી અને પ્રો એક્ટીવલી કામ કરી રહી છે. મીડિયામાં ચાલી રહ્યું છે કે આતંકી હુમલાને કારણે પોલીસ સર્ચ કરી રહી છે તે વધુ પડતું છે. ગુજરાતમાં તાત્કાલિક હુમલાની કોઇ વાત રેકોર્ડ પર નથી. જો ખુદ મુખ્યમંત્રી એવું કહેતા હોય કે રેકર્ડ પર આવી કોઇ વાત નથી તો એટીએસએ અફઘાની આતંકીનો સ્કેચ કંઇ રીતે રાજ્યભરની પોલીસને મોકલ્યો? મહત્વનું છે કે, તાજેતરમાં કાશ્મીરમાંથી 370 હટાવતા જ એલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા. ત્યારે વધુ એક વખત શહેર પોલીસ તથા તમામ એસઓજીને એટીએસ તરફથી એક ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ઓગષ્ટ 2019ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા માટે અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી છે.

Share This Article