ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યભરના દરેક જિલ્લા મથકે ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લા મહેસુલી કર્મચારીઓ દ્વારા પણ વિવિધ પડતર પ્રશ્નોને લઈ ધરણા યોજવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા કલેકટરની કચેરી સામે રેવન્યુ તલાટી સવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરો તેવી માંગ સાથે ધરણા યોજવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા નાયબ મામલતદાર અને ક્લાર્ક કક્ષાના કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને કલેકટર કચેરી સામે ધરણા કર્યા હતા મહેસૂલી કર્મચારીઓની માંગ છે કે 2500 નાયબ મામલતદારની જગ્યા ગુજરાતમાં ખાલી છે તે ક્લાર્કને પ્રમોશન આપીને તાત્કાલિક ભરવી જોઇએ અને નાયબ મામલતદારમાંથી મામલતદારની 400 જગ્યા ગુજરાતમાં ખાલી છે તે પ્રમોશનથી ભરવી જોઈએ તથા રેવન્યુ તલાટીને કલેકટર હેઠળ મુકીને કચેરીઓનું કામ ઘટાડવું જોઇએ, જેવી અનેક માંગો સાથે મહેસૂલી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મહામંડળના આદેશને પગલે અમરેલી જિલ્લામાંથી આવેલા મહેસુલી કર્મચારીઓએ ધરણા કર્યા હતા. તેમજ જો માંગો નહીં સંતોષાય તો કર્મચારીઓ 26 ઓગસ્ટે સામૂહિક રીતે પરચુરણ રજા લેશે અને ૨૯ ઓગસ્ટથી અચોક્કસ મુદત સુધી મહેસુલી કર્મચારીઓ ગુજરાતમાં હડતાલ ઉપર જશે.