જામનગરમાં ગેંગરેપ : ઘેનની દવા ખવડાવી સગીરા સાથે 4 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

admin
2 Min Read

હાલમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મની ઘટનાથી દેશ આખો હચમચી ગયો છે અને આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ લોકો કરી રહ્યાં છે, આ બધાની વચ્ચે ગુજરાતમાં પણ ગેંગરેપની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં પણ ઉપરાઉપરી મહિલા સાથે બળાત્કારના ત્રણ બનાવ બન્યા છે. બે દિવસ પહેલા મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં એક પરણિતાએ ગેંગરેપની ફરિયાદ કર્યાં પછી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યાં છે, હવે જામનગરમાં પણ એક સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. જેને લઈ ગુજરાતમાં મહિલા સલામતી પર સવાલો ઉભા થયા છે.

મળતી માહિતી મુજબ, જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરાને ઊંઘની દવા પીવડાવીને ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દુષ્કર્મ આચર્યા બાદ ચારેય નરાધમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સગીરાએ પોતાના પરિવારજનોને જાણ કરતા પોલીસે સગીરાના પરિજનોના નિવેદનના આધારે ગુનો નોંધી આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરતા દુષ્કર્મ આચરનાર ચાર શખ્સો પૈકી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે હજી એક શખ્સ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

જામનગરના ડીવાયએસપીના જણાવ્યા મુજબ, આ બનાવ 28 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો જ્યારે તેની ફરિયાદ 2 ઓક્ટોબરે નોંધાઈ હતી. Dysp એ.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરના રોજ ફરિયાદીએ સિટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં 376 ડી, પોક્સો એક્ટ 4, 5,6 મુજબ ગુનો દાખલમાં આવ્યો છે. ભોગ બનનારે ચાર શખ્સો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ આપી છે.

ફરિયાદ દાખલ થતા જ પોલીસે ત્રણ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. ચોથો આરોપી ફરાર છે તેને પકડવા માટે અમે પોલીસની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે.

Share This Article