શ્રીમદ ભાગવત કથાનાં ઉદ્ગમ સ્થાન શુકતીર્થ ખાતે મોરારી બાપુ કરશે કથા ગાન

admin
1 Min Read

બાળકૃષ્ણનાં લીલાસ્થાન રમણરેતીમાં ૧૧ દિવસીય રામકથા બાદ, કૃષ્ણ લીલાનું જ્યાં સૌ પ્રથમ વખત ગાન થયું હતું એવા પરમ પવિત્ર શુકતીર્થ ખતે ૮૫૨મી કથાનું ગાન આરંભશે. સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે આ તીર્થ પર સ્થિત અક્ષયવટ નીચે બેસીને શુકદેવ મુનિએ મહારાજા પરીક્ષિતને ભવતારિણી, મોક્ષદાયિની શ્રીમદ્ ભાગવત કથા સંભળાવી હતી. ૮૮,૦૦૦ ઋષિમુનિઓની ઉપસ્થિતીમાં ભાગવત પુરાણનું સહુ પ્રથમ વખત ગાન ત્યારે થયું હતું.

“શુક્રતાલ” તરીકે ઓળખાતાં આ સ્થાનને યોગી આદિત્યનાથજીની સરકારે, સાધુ-સંતો અને જનસમૂહની વર્ષો જૂની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈને આ સ્થાનનું નામ શુક્રતાલમાંથી બદલીને “શુકતીર્થ” કર્યું છે. અહીં ૩૫ ફુટ ઉંચી ગણેશજીની, ૧૦૮ ફૂટ ઊંચી ભગવાન શંકરની, ૮૦ ફુટ ઉંચી માતા દુર્ગાની અને – સાત કરોડ વખત લખાયેલ રામનામ જેમાં સમાહિત છે એવી- ૭૨ ફૂટ ઊંચી શ્રી હનુમાનજી મહારાજની પ્રતિમા દર્શનીય છે. ૧૯ ડિસેમ્બર થી ૨૬ ડિસેમ્બર દરમિયાન દરરોજ સવારના ૯/૩૦ થી ૧/૩૦ સુધી પૂજ્ય મોરારીબાપુ રામકથાનું ગાન કરશે.


કોરોનાની ગાઈડ લાઈન મુજબ, પ્રશાસને નિર્ધારિત કરેલા તમામ નીતિ- નિયમોના ચૂસ્ત પરિપાલન સાથે, મર્યાદિત શ્રોતાઓ સમક્ષ નવ દિવસીય રામકથાનો શ્રવણ લાભ આસ્થા ટીવી અને યુટ્યુબના માધ્યમથી દરરોજ સવારે સાડાનવ કલાકથી લાઇવ માણી શકાશે. પૂજ્ય બાપુની વૈશ્વિક વ્યાસ-વાટિકાનાં ફ્લાવર્સ આતુરતાપૂર્વક ૧૯ ડિસેમ્બર ની રાહ જોઈ રહ્યા છે.

Share This Article