રાજકોટ : લોકડાઉનનાં ડરથી રાજકોટ રેલ્વે સ્ટેશન બહાર પરપ્રાંતિય શ્રમિકોની 1 કિમી લાંબી કતાર

admin
2 Min Read

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ કોરોનાની પરિસ્થિતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી છલોછલ ભરાયેલી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ દરરોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દરરોજ 100 કરતાં વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે 30થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત દરરોજના થઈ રહ્યા છે. રાજકોટમાં કોરોનાના કેસ વધતા જ મોટાભાગના ઉદ્યોગ ધંધા સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. જેને લઇને રાજકોટમાં અન્ય રાજ્યોમાંથી કામ કરવા માટે આવતા શ્રમિકોએ પણ કામ ધંધા બંધ હોવાના કારણે પોતાના વતનની વાટ પકડી છે. હાલ તેઓ પોતાના ઘરે એટલે કે પોતાના વતનમાં પરિવાર સાથે જઈ રહ્યા છે. અગાઉ પણ જ્યારે રાજ્યમાં લોકડાઉન થયું હતું

 

તે દરમિયાન મોટાભાગના પરપ્રાંતીઓ પોતાના વતન જતા રહ્યા હતા. જ્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો રાજકોટ રેલવે સ્ટેશનથી પોતાના વતન જઈ રહ્યા છે.  રાજકોટ રેલવે સ્ટેશન બહાર પરપ્રાંતિયોને પોતાના વતન જવા માટેની ટ્રેન આવતા જ મોટી સંખ્યામાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી. અંદાજિત 1 કિલોમીટર કરતા વધુ લાંબી કતારોમાં પરપ્રાંતીયો પોતાના વતનની ટ્રેનમાં બેસતા જોવા મળ્યા હતા. હાલ રાજકોટમાં દરરોજ પરપ્રાંતીઓ પોતાના વતનમાં જવા માટે રેલવે સ્ટેશન બહાર આમ લાંબી કતારો લગાવીને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજકોટ રેલવે તંત્ર દ્વારા પણ આ પરપ્રાંતીઓ સહી-સલામત પોતાના વતનમાં પહોંચી જાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે આ તમામ શ્રમિકોને પરિવાર સાથે ટ્રેનમાં બેસવાની તેમજ ખાવાપીવાની વ્યવસ્થા થાય તે માટે પણ રાજકોટની અલગ અલગ સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે.

Share This Article