રાજુલામાં રેલવે જમીન મુદ્દે રેલ રોકો આંદોલન ઉપવાસના 16મા દિવસે રાજુલા સ્ટેશન,વાવેરા અને ઘાડલામાં કાર્યકરો દ્વારા ગુડ્ઝ ટ્રેન રોકી વિરોધ કરાયો હતો. રેલ રોકવાના મુદ્દે અલગ અલગ સ્થળેથી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. રેલવે વિભાગ તરફથી જો હજુ પણ પોઝીટીવ પરિણામ નહિ મળે તો અમરીશ ડેર દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ગઈકાલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને રેલરોકો આંદોલન કરવાની જાણ કરી હતી.
જેમાં રેલરોકો આંદોલન માટે આજે રાજુલાના વાવેરા રેલવે સ્ટેશન નજીક, સાવરકુંડલાના ઘાડલા ગામ નજીક, રાજુલાના કુંડલીયાળા નજીક પેસેન્જર ટ્રેન રોકાવી કાર્યકરો ટ્રેક પર સુઇ ગયા હતા. તથા ટ્રેક પર વૃક્ષની ડાળીઓ રાખી દીધી હતી. કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા ટ્રેન રોકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જોકે આજે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ ટ્રેક આસપાસ એલર્ટ હતી. જેથી થોડી મિનિટો પૂરતી ગુડ્સ ટ્રેન રોકાવી હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રેન રવાના કરાવી હતી. અને વિરોધ કરી ટ્રેન રોકાવનાર લોકોની અટકાયતનો દોર શરૂ કર્યો છે. જેમાં 10થી વધુ કાર્યકરોની અટકાયત થઈ છે.