અમરેલી : જાફરાબાદના ચોત્રા ગામના દેવીપૂજક પરિવારને અકસ્માત નડ્યો, ત્રણ વ્યક્તિઓના મોત

admin
1 Min Read

રાજુલાના ચારનાળા રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં મોતને ભેટનારાઓમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. ત્રણેય રાજુલા તાલુકાના ચોત્રા ગામના રહેવાસી અને દેવીપૂજક પરિવારના હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા

અને મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી. મળતી માહિતી મુજબ ટ્રક હિંડોરણાથી કોવાયા તરફ જઈ રહી હતી અને બાઈક સવાર પરિવાર પોતાના ગામ ચૌત્રા તરફ આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. દરમિયાન પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને ત્યારબાદ મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

Share This Article