ગાંધીનગરમાં નવા પ્રધાનમંડળની શપથવિધિ પહેલાં CM ભૂપેન્દ્ર પટેલ અને ભૂપેન્દ્ર યાદવ વચ્ચે મહત્વની બેઠક મળી. આ બેઠક અમદાવાદમાં આવેલા એનેક્ષીમાં મળી છે. ભાજપની ‘નો રિપિટ થિયરી’ ના કારણે છેલ્લી ઘડીએ ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત ચાલી રહી છે. હજી પણ કેટલાંક નામોને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંત્રીપદ માટેની આંતરિક ખેંચતાણ એટલી હદે વધી છેકે, ભાજપે શપથવિધી સુધ્ધાં રદ કરવી પડી હતી. મુખ્યમંત્રીની નિયુક્તિ બાદ હવે નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી અમલમાં મૂકતાં સિનિયર મંત્રીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. હવે ભાજપમાં ભડકો થયો હોય તેવી સ્થિતીનુ નિર્માણ થયુ છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પનો ટૂંકો પડ્યો છે.
હવે આખોય મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંકટમોચન ગણાતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંભાળી લીધો છે. નવા મંત્રીમંડળની રચનાને લઇને ભાજપમાં કશ્મકશનો માહોલ જામ્યો છે. મંત્રીપદની પસંદગી માટે ગાંધીનગરમાં સવારથી પાટીલના નિવાસસ્થાને ધારાસભ્યો,સાંસદો અને ભાજપના નેતાઓની બેઠકોનો દોર જામ્યો હતો. નવા મંત્રીમંડળમાં કોને સમાવવા તે અંગેની ચર્ચા ચાલી હતી ત્યારે ધારાસભ્યોને બોલાવી વન ટુ વન બેઠકો કરી હતી. સિનિયર મંત્રીઓને મનાવવા પણ ધમપછાડા કરવામાં આવ્યા હતાં. આમ છતાંય આંતરિક રોષ શાંત પડયો ન હતો. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, બી.સંતોષ સહિતના નેતાઓ વચ્ચે બંધબારણે બેઠકોનો દોર જામ્યો હતો. મંત્રી કોને બનાવવા તે અંગે છેલ્લી ઘડી સુધી ભાજપના નેતાઓએ મંથન જારી રાખ્યુ હતું.