ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે.
તે ઉપરાંત રાજ્યમાં 23 ગામોમાં હજી વિજપુરવઠો પૂર્વવત નથી થયો. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી. જેમાં રાજકોટ, જૂનાગઢ, વલસાડમાંથી રેડ એલર્ટ હટ્યું છે. ઓડિસા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઇ જતા સંકટ ટળ્યું હોવાનું અનુમાન છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 52.85 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે. NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર-સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે
ગુજરાત-રાજ્યમાં આગામી ૨૧ તારીખ સુધી વરસાદની આગાહી
Leave a comment
Leave a comment