ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે અનેક પડકારો રહેલા છે. જેમાં સૌ પ્રથમ પડકાર 27 સેપ્ટમ્બરે મળી રહેલા વિધાનસભાના સત્રમાં વિપક્ષનો સામનો કરવાનો રહેશે. ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ નવું બનાવી દીધું છે, તેમાં એક પણ સિનિયર મંત્રી નથી, આ સંજોગોમાં અગાઉની રૂપાણી સરકારે વિધાનસભાનું ચોમાસુ સત્ર બોલાવવાની જાહેરાત કરી દીધી હતી અને 27 અને 28 સપ્ટેમ્બરે બે દિવસનું સત્ર બોલાવવાની વિધાનસભા અધ્યક્ષે પણ જાહેરાત કરી દીધી છે અને હવે નવી સરકારના નવા નિશાળીયા જેવા મંત્રીઓને સીધા જ વિધાનસભા સત્રનો સામનો કરવાનો પડકાર આવ્યો છે.
નવા મુખ્યમંત્રી સહિતના નવા મંત્રીઓને માથે આવી પડેલી વિધાનસભા સત્રની જવાબદારીમાં ભૂતપૂર્વ બની ગયેલા અને અનુભવી એવા પૂર્વ મંત્રીઓએ સાથ આપવો પડશે. આ મામલે પક્ષ દ્વારા પણ પૂર્વ મંત્રીઓને સીધી સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં સ્થાન મળતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું હતું, અને હવે તા. 27-28ના રોજ વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર મળનાર છે, તેમાં કાર્યકારી અધ્યક્ષપદે કચ્છના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્યને સ્થાન મળી શકે છે, અને આ બે દિવસના સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે.