ગુજરાત-કોરોના સહાય પ્રક્રિયા હવે ઝડપથી કરાશે

admin
3 Min Read

ગુજરાત સરકારે કોવિડથી થયેલાં મૃત્યુની સામે વળતરનો દાવો કરવા માટે અરજદારે પોતાના સગાંનું મૃત્યુ કોવિડને કારણે થયું છે તે મુજબનું પ્રમાણપત્ર ખાતરી સમિતિ (સ્ક્રૂટિની કમિટી) પાસેથી મેળવવાનો નિયમ બનાવ્યો હતો. જોકે સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારની આ મુદ્દે ઝાટકણી કાઢ્યા બાદ ગુજરાત સરકારે નવેસરથી સુધારો કરતો ઠરાવ બહાર પાડીને મૃતકના વારસદારોએ માત્ર જિલ્લા કલેક્ટર હેઠળના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને જ સીધી અરજી કરવાની રહેશે. સરકારે આ પ્રક્રિયા સાથે સંકળાયેલાં તમામ વિભાગોને આ કામને પ્રાથમિકતા આપી ઝડપી નિકાલ કરવાની તાકીદ પણ કરી છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સુનાવણી દરમિયાન કોર્ટના આકરા વલણ પહેલાં જ સરકારને અહેસાસ થઇ ગયો હતો કે આ મુદ્દો અવળો પડી શકે છે, તેથી સુનાવણી પહેલાં જ રવિવારના ચાલુ દિવસે અડધી રાત્રે જ આરોગ્ય વિભાગે આ ઠરાવ બહાર પાડી દીધો હતો. જો કે કોવિડ પોઝિટીવ આવ્યાનો ટેસ્ટ રિપોર્ટ ન હોય તેવાં કિસ્સાઓમાં મૃતકના વારસદારોએ ખાતરી સમિતિ સમક્ષ જ જવું પડશે. ખાતરી સમિતિની રચના કરીને ગુજરાત સરકાર આખા મુદ્દાને ગૂંચવીને લોકોને સહાયથી વંચિત રાખવા માંગે છે તેવાં આકરા પ્રશ્નનો મારો ચલાવીને સુપ્રીમકોર્ટે રાજ્ય સરકારનો ઊધડો લીધો હતો. હવે ગુજરાત સરકાર આગામી દિવસોમાં આ નવો ઠરાવ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરીને પોતાનો જવાબ રજૂ કરશે.

આ માટે રાજ્યના આરોગ્ય કમિશનરે એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે મુલાકાત પણ કરી હતી. ઠરાવમાં જણાવ્યા મુજબ સંસ્થાકીય કે બિનસંસ્થાકીય મૃત્યુ પ્રમાણપત્રમાં કારણ કોવિડ-19 દર્શાવ્યું હોય તેને કોવિડ-19થી થયેલું મૃત્યુ જ ગણવામાં આવશે. કોરોનાના એવા કેસ કે જેનું નિદાન પોઝીટીવ આરટીપીસીઆર-મોલેક્યુલર ટેસ્ટ કે રેપિડ એન્ટિજન ટેસ્ટ દ્વારા કરાયા બાદ હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે દાખલ કરાય અને ત્યારબાદ મૃત્યુ થયું હોય તો ટેસ્ટના પોઝિટીવનો રિપોર્ટ અને સબ રજિસ્ટ્રાર દ્વારા અપાયેલા મરણના દાખલાને સાથે રાખીને અરજી કરવાની રહેશે. જો કોઇ વ્યક્તિને આ સમગ્ર પ્રક્રિયામાં સંતોષ ન હોય તો ત્યારે ખાતરી સમિતિ ફરિયાદ નિવારણ સમિતિ તરીકે પણ કામગીરી કરશે. કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા સુપ્રીમકોર્ટે અગાઉ જણાવ્યું હતું. આવામાં કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનું સર્ટિફિકેટ ફરજિયાત કરાયું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તૃત ઠરાવ જારી કરવામાં આવ્યો છે.જેના ફોર્મની પ્રક્રિયા 15મીથી શરૂ થશે, જન્મ-મરણ નોંધણીના નિયમો પ્રમાણે મૃતકને મૃત્યુ વખતે જે તબીબે સારવાર કરેલી હોય તે તબીબ મૃત્યુનું કારણ જણાવી શકે છે. આવામાં મૃત્યુ હોસ્પિટલમાં થયું હોય તો ફોર્મ નંબર-4 અને એ સિવાયના કિસ્સામાં ફોર્મ નંબર 4-A પ્રમાણે રજિસ્ટ્રારને મરણની નોંધણી માટે મોકલવામાં આવે છે.

Share This Article