ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયું છે. મુંબઈ નજીક પાલઘરમાં તેમની કારનો અકસ્માત થયો હતો. સાયરસ મિસ્ત્રી અને અન્ય ચાર લોકો પાલઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો અકસ્માત થયો હતો. તેમની કંપનીના ડિરેક્ટરે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. અકસ્માત વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાયરસ મિસ્ત્રીની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. અધિકારીએ જણાવ્યું કે મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ મર્સિડીઝ કારમાં જઈ રહ્યા હતા. આ અકસ્માત બપોરે 3.15 વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ અકસ્માત સૂર્યા નદી પરના પુલ પર થયો હતો.

54 વર્ષીય સાયરસ મિસ્ત્રી ભારતીય મૂળના સૌથી સફળ અને શક્તિશાળી ઉદ્યોગપતિઓ પૈકીના એક પલોનજી શાપૂરજી મિસ્ત્રીના પુત્ર હતા. સાયરસ પલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેઓ શાપૂરજી પલોનજી ગ્રુપના વડા પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. તેમણે તેમનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાંથી કર્યો હતો અને ત્યારબાદ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા લંડન ગયા હતા. તેઓ ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. જણાવી દઈએ કે 2012માં રતન ટાટાના રાજીનામા બાદ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સનું ચેરમેન પદ સોંપવામાં આવ્યું હતું. તેઓ બીજા એવા વ્યક્તિ હતા જેમને તેમની અટકમાં ટાટા ન હોવા છતાં આ જૂથની કમાન સોંપવામાં આવી હતી. જો કે, રતન ટાટા સાથેના મતભેદોને પગલે સાયરસ મિસ્ત્રીને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2019 માં, કંપની લો ટ્રિબ્યુનલે મિસ્ત્રીને જૂથના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પુનઃસ્થાપિત કર્યા. પણ તે પહેલા ફેબ્રુઆરી 2017માં તેમને ટાટા સન્સના બોર્ડમાં ડિરેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
સાયરસ મિસ્ત્રી પાસે આયરલેન્ડનું નાગરિકત્વ હતું અને તેઓ ભારતના કાયમી નાગરિક હતા. તેની માતાનો જન્મ આયર્લેન્ડમાં થયો હતો, જેના કારણે તેને ત્યાંની નાગરિકતા મળી હતી. તેની માતાના ભાઈ ભારતમાં એક મોટી શિપિંગ કંપનીના વડા હતા. સાયરસ મિસ્ત્રીએ 1992માં દેશના જાણીતા વકીલોમાંના એક ઈકબાલ ચાગલાની પુત્રી રોહિકા ચાગલા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે.
