શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ગઈકાલે સંપન્ન થઈ છે. આજે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે અમદાવાદના જમાલપુરના જગન્નાથ મંદિર પ્રત્યે લોકોની આસ્થા અને ભક્તિ વર્ષોથી વધી રહી છે. તેથી હવે આ મંદિરનો પુનઃવિકાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક વિશાળ મંદિર સંકુલ બનાવવામાં આવશે જ્યાં એક સાથે 50,000 લોકો ભગવાનના દર્શન કરી શકશે. આ ઉપરાંત ભક્તોના રહેવા અને એકત્ર થવાની વ્યવસ્થા સાથે મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે.
મહેન્દ્ર ઝાએ પત્રકારોને જણાવ્યું હતું કે મંદિરના પુનઃવિકાસ માટે એક વખત સર્વે કરવામાં આવ્યો છે. થોડા સમય બાદ એસ્ટીમેટનો રી-સર્વે કર્યા બાદ રી-ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. રથયાત્રામાં 18 થી 20 લાખ લોકો ભાગ લે છે. દર વર્ષે લાખો ભક્તો જમાલપુર જગન્નાથ મંદિરના દર્શન કરવા આવે છે. વર્ષોથી ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિને ધ્યાનમાં રાખીને, મંદિરને ફરીથી વિકસિત કરવામાં આવશે જેથી કરીને 50,000 ભક્તો એકસાથે જમાલપુર જગન્નાથ મંદિરના દર્શન કરી શકે.
મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યું હતું કે નવા મંદિર સંકુલમાં બહારથી આવતા ભક્તો અને સંતો માટે રહેવાની સુવિધા સાથે નવી ઇમારત બનાવવામાં આવશે. એક મોટું બે માળનું પાર્કિંગ પણ બનાવવામાં આવશે. જન્નાથ મંદિરની માલિકીની જમીનમાં ચારથી પાંચ ચાલીઓમાં રહેતા લોકોને રહેવા માટે અલગ ઘર આપવામાં આવશે. મંદિરમાં હાથીઓ માટે નવું હાથી ઘર બનાવવામાં આવશે.
મંદિરની ઓફિસ પણ નવી જગ્યાએ બનાવવામાં આવશે. જમાલપુર જગન્નાથ મંદિરમાં મહંત નરસિંહદાસના સમયથી શરૂ થયેલી રથયાત્રા અને આજ સુધીની રથયાત્રા સહિત મંદિરનો ઈતિહાસ દર્શાવતું મ્યુઝિયમ પણ તૈયાર થવા જઈ રહ્યું છે. જન્નાથ મંદિરના રિ-ડેવલપમેન્ટ માટે સર્વે કરવામાં આવ્યો છે, આગામી દિવસોમાં તેનો એસ્ટીમેટ તૈયાર કરી પાસીંગ માટે પ્લાન મુકવામાં આવશે.
