શહેરના સીમાવર્તી ક્ષેત્ર શામીરપેટમાં આવેલા એમઆરઓ કાર્યાલયની પાસે જ સોમવારે સાંજે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં ભાજપના નેતા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય સભ્યોને દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ શોકિંગ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કારની સ્પીડ થોડી જ સેકન્ડોમાં ત્રણ જણને ભરખી ગઈ હતી. કરીમનગરથી હૈદરાબાદ આવી રહેલા ભાજપના ઓબીસી મોર્ચાના અધ્યક્ષ એવા કોસુરી ચારીની ઈકો સ્પોર્ટ્સ કાર કાબૂ ગુમાવીને ડિવાઈડર સાથે ટકરાઈને સામે આવતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતના કારણે સ્થળ પર જ ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસે મૃતકોની ઓળખ કોસુરી ચારી, તેમનાં પત્ની અને મોટા પુત્ર સુધાંશુ તરીકે કરવામાં આવી હતી. મળતી વિગતો પ્રમાણે ભાજપના નેતા પરિવાર સાથે કરીમનગર પાસે આવેલા તીર્થસ્થાને દર્શન કરીને પરત આવતા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.