ગુજરાતમાં કોરોનાના વધુ 1372 પોઝિટિવ કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. જેના કારણે તંત્રની પણ ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 22 સપ્ટેમ્બર સાંજથી 23 સપ્ટેમ્બર સાંજ સુધીમાં વધુ 1372 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,27,541 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1289 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 15 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3370 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,07,701 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 294 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 185, વડોદરામાં 134 અને રાજકોટમાં 141 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 37, જામનગરમાં 94, ગાંધીનગરમાં 38, જુનાગઢમાં 38, અમરેલીમાં 27 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16468 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article