શનિવારના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભુછાડ ગામેથી અંબાજી જવા માટે પદયાત્રા સંઘ રવાના થયો હતો જેમાં ૩૫ ગામના ૬૦૦થી વધુ ભક્તો જોડાયા છે. નાંદોદના ધારાસભ્યના મૂળ ગામ ભુછાડથી નીકળેલ સંઘ રાજપીપળા આવી પહોંચ્યો હતો જ્યાં માં હરસિદ્ધિના દર્શન કરી અંબાજી જવા માટે રવાના થયો હતો. રાજપીપળામાં વિવિધ સંગઠનો દ્વારા આ પગપાળા સંઘનું સ્વાગત કરી યાત્રાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.જણાવી દઈએ કે ભુછાડથી અંબાજી જતા આ પગપાળા સંઘને નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાએ વિદાય આપી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે લગભગ ૧૪ વર્ષથી દરવર્ષે શ્રાવણી અમાસે સીતારામ પગપાળા સંઘ ભુછાડ ગામેથી અંબાજી જવા માટે સંઘ રવાના થાય છે જેમાં દરવર્ષે ભક્તોની સંખ્યા વધતી રહે છે.આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે દર વર્ષે અંબાજી પગપાળા સંઘ જાય છે અને જગત જનની મા અંબાજી પ્રત્યે ભક્તોની અતુટ શ્રદ્ધા છે અને માં અંબે પગપાળા જતા ભક્તોની માનતાઓ પુરી કરે છે સતત ૧૨ દિવસ પગપાળા ચાલીને ભક્તો અંબાજી પહોંચે છે અંતે અંબા માતાને એટલી પ્રાર્થના છે કે નર્મદા જિલ્લા માટે શાંતિ સુખાકારી અને એખલાસ જળવાઈ રહે.