ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચંદ્રયાન-2ને સફળતા પૂર્વક ચંદ્રની ત્રીજી કક્ષામાં મોકલી દેવામાં આવ્યું છે. ચંદ્રયાન-2નો બુધવારે સવારે 9.04 કલાકે ચંદ્રની ત્રીજી કક્ષામાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. પ્રવેશ બાદ ચંદ્રયાન-2 179 કિમીની અપોજી અને 1412 કિમીની પેરીજીમાં ભ્રમણ કરશે. જેમાં સતત 2 દિવસ ચદ્રની ફરતે ચક્કર લગાવશે જે બાદ 30 ઓગસ્ટે ચંદ્રયાનને 4થી કક્ષમાં અને 1 સપ્ટેમ્બરે 5મી કક્ષામાં મોકલવામાં આવશે.
મહત્વનું છે કે ઈસરોના વૈજ્ઞાનિકોએ 20 ઓગસ્ટના રોજ ચંદ્રની પ્રથમ કક્ષામાં ચંદ્રયાનને સફળતા પૂર્વક પહોંચાડ્યું હતું. વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાનની ગતિને 10.98 કિમી પ્રતિ સેક્ન્ડથી ઘટાડીને 1.98 કિમી પ્રતિ સેક્ન્ડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઈસરો વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડરને 4 સપ્ટેમ્બરે ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોંચાડશે. આ કક્ષાથી અપોજી 35 કિમી અને પેરીજી 97 કિમી હશે. અગામી ત્રણ દિવસ સુધી વિક્રમ લેન્ડર આ કક્ષામાં ચંદ્રના ચક્કર લગાવતુ રહેશે. આ દરમિયાન ઈસરો વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની તપાસ કરતા રહેશે.