ગુજરાતમાં કોરોના થયો આઉટ ઓફ કંટ્રોલ, જાણો જિલ્લાવાર કોરોનાના કેસની વિગત..

admin
2 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 600ની ઉપર નોંધાઈ રહી છે. ત્યારે 30 જુન સાંજથી 1 જુલાઈ સાંજ સુધીમાં કોરોનાના નવા 675 કેસ નોંધાતા તંત્રની ઊંઘ હરામ થઈ  છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 33318 થઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 21 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1869 થયો છે. જ્યારે 24 કલાકમાં 368 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 24038 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 215 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 201 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 57 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આ ઉપરાંત નવસારીમાં 24, જામનગરમાં 18, ગાંધીનગરમાં 16, રાજકોટ-ભરુચ-વલસાડમાં 15-15 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બનાસકાંઠા-સુરેન્દ્રનગરમાં 12-12 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના મહેસાણા જિલ્લામાં 10, ખેડામાં 9, આણંદમાં 8, જુનાગઢમાં 7, ભાવનગરમાં 6 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 7411 એક્ટિવ કેસ છે. જેમાં 63 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 7348 સ્ટેબલ છે.

Share This Article