વડોદરા નજીક આવેલા પોર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી દિપડાનો આંતક મચી ગયો હોવાનું બહાર આવ્યુ છે. રવિવારે રાત્રે રામનાથ ગામે પણ એક ખેતરમાં ઢોરોના વાડામાં ઘુસી ગયેલ એક દિપડાએ ભેંસના બચ્ચા પર હુમલો કર્યો હતો. આ તબક્કે અન્ય ઢોરોએ બૂમાબૂમ કરી મૂકતા જાગી ગયેલા વાડાના માલીકે બેટરીની લાઇટ મારતા દિપડા સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ ઘટના અંગેની વિગતો મળતી વિગતો મુજબ પોર પાસે આવેલા રામનાથ ગામે ખેતરમાં રહેતા રામસિંગભાઇ ભગવાનસિંહ પઢીયારના ખેતરમાં ઢોરનો વાડો આવેલો છે. ગઇકાલે રાત્રીના સમયમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. આ તબક્કે તેમના ઢોર વાડામાંથી અચાનક જ બધા ઢોરોની બૂમાબૂમ કરી મૂકી હતી. દિપડાએ હુમલો કર્યો હતો. એક ભેંસના બચ્ચાને તેણે જડબામાં લઇ લીધુ હતુ. જેના પગલે ભગવાનસિંહ પઢીયારે બેટરીના લાઇટ મારતા દીપડો બચ્ચાને પડતુ મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. જો કે, આ ઘટનાના પગલે લોકો એકઠા થઇ ગયા હતા. તેઓએ હોબાળો પણ મચાવી મૂક્યો હતો. આ ઘટના અંગેની વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે, આ અગાઉ આ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી દિપડાનો ત્રાસ વધી ગયો હોવાથી દિપડાને પકડવા માટે પાંજરૂ પણ મૂકી દેવામાં આવ્યુ છે. તેમ છતાં હજી સુદી દિપડો પાંજરે પૂરાયો નથી.