મુખ્યમંત્રી વિજય રૂપાણી 73માં સ્વાતંત્રય પર્વ 15-ઓગસ્ટ-2019ના સવારે 9 કલાકે છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધ્વજવંદન કરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપશે. તો અમરેલી જીલ્લાના વડિયા ખાતે 73માં સ્વતંત્રતા દિને જિલ્લા કક્ષાની ઉજવણી સુરગવાળા સાર્વજનિક સ્કૂલ ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આ ધ્વજવંદન કાર્યક્રમને ધ્યાનમાં રાખી અમરેલી એસ.પી નિર્લેપત રાય અને કલેકટર આયુષ કુમાર સહિત તમામ અધિકારીઓ સાથે રીહર્સલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સુરગવાળા સ્કૂલ તેમજ વડિયા તાલુકાના સ્કૂલ બાળકોએ હોંશે હોંશે રિહર્સલમાં ભાગ લીધો હતો અને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે જુસ્સાથી આ કાર્યક્રમને સફળ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. કલેકટર તેમજ એસ.પીએ જીપમાં પોલીસ પરેડ અને ગ્રાઉન્ડમાં રીહર્સલ કર્યુ હતું. આ તકે પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો.