મહાત્મા ગાંધીની આ વર્ષે 150મી જન્મ જયંતિ સમગ્ર દેશભરમાં ઉજવવામાં આવશે ત્યારે ચાલો જાણીએ કે બાપુની મોહનથી મહાત્મા સુધીની સફર વિશે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં હિંદુ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ હતું જયારે તેમની માતાનુ નામ પુતળી બાઈ હતું તેમના વડવાઓ વ્યવસાયે ગાંધી હતા, પરંતુ તેમની પહેલાની ત્રણ પેઢીમાં કોઈએ ગાંધીનો વ્યવસાય કરેલો નહીં, અને તેઓ કોઈકને કોઈક રજવાડાના દીવાનપદે રહેલા.
મોહનદાસ ગાંધીના પિતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સ્ટેટના દીવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દીવાન રહ્યા હતા. વૈષ્ણવ પરંપરા મુજબ ગાંધી કુટુંબ એકદમ ચુસ્ત શાકાહારી હતું. હિંદુઓમાં પ્રચલિત બાળવિવાહની પ્રથાને કારણે મોહનદાસના લગ્ન ફક્ત ૧૩ વર્ષની વયે કસ્તુરબા સાથે થયા હતા. મોહનદાસ ગાંધીને ચાર પુત્રો હતા જેમાં સૌથી મોટો પુત્ર હરીલાલ ત્યાર બાદ મણીલાલ ત્યારબાદ રામદાસ અને સૌથી નાનો પુત્ર દેવદાસ હતા. ગાંધીજીના અભ્યાસ વિશે વાત કરીએ તો તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા. તેઓનો શરૂઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. તેમણે મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તેઓ બૅરીસ્ટર બને તેવી હતી.
એવામાં જ તેમને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકૂમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભૂમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી. દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઈક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતા. જો કે, કુદરત તેમની આ બધી નબળાઈ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઈ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારતીયોની જેમ તેમણે પણ ગોરાઓના તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું,
જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ માં પ્રિટોરિયા જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતારી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. આમ ત્યારથી જ ગાંધીજીની મોહનથી મહાત્મા સુધીની સફરની શરુઆત થઈ હતી.