ગુજરાત : રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો, થિયેટર્સ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે

admin
2 Min Read

કોરોનાના કહેરને પગલે રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજી લહેર શાંત થઈ ગઈ હોવાથી સરકાર તબક્કાવાર રાહત આપી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં અમદાવાદ સહિત આઠ મહાનગરપાલિકા ઉપરાંત વાપી, અકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, ભૂજ અને ગાંધીધામ એમ કુલ મળીને 18 શહેરોમાં રાત્રિ કરફયુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે. આ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. આ પહેલાં કુલ 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ લદાયો હતો.

જેમાંથી 18 શહેરોમાંથી રાત્રિ કરફ્યુ હટાવી લેવાયો છે જયારે 18 શહેરોમાં રાત્રી કરફ્યુના નિયંત્રણ યથાવત રાખવામાં આવ્યા છે. આ નવા નિયમોનો અમલ 27 જૂનથી એટલે કે રવિવારથી થશે. તેમજ રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમજ અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે. જ્યારે સામાજિક-રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપી છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

Share This Article