લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આજે અંત આવ્યો છે. રાજ્યના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 4200 ગ્રેડ પે મામલે આંદોલન અને રજૂઆત બાદ શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરાયો છે. આ અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી 4200 ગ્રેડ પે આપવાની પ્રાથમિક શિક્ષકોની માગ હતી. ત્યારે આજે પ્રાથમિક શિક્ષણ સંઘ અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને DyCM નીતિન પટેલ સાથે થઇ હતી. આ બેઠકમાં 4200 ગ્રેડ પે બાબતે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષકોના ગ્રેડ પેમાં રાજ્ય સરકારે સુધારો કર્યો છે. નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવ્યો છે. લાંબી ચર્ચાના અંતે પ્રશ્રનોનો નિકાલ લાવવામાં આવ્યો છે. હવે 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કરવામાં આવ્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી 9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે.