ગૃહમંત્રી અમિત શાહની 23 ઓકટોબરના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાતને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી છે. આ માટે સીઆરપીએફની વીઆઈપી ટુકડી શુક્રવારે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ હતી. રેલી સ્થળ ભગવતી ગ્રાઉન્ડના સિનિયર અધિકારીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી. આ સાથે જ વિશેષ ટુકડીના કમાન્ડોએ પણ સમીક્ષા કરી હતી. આ કમાન્ડો શનિવારે રેલી સ્થળને પોતાના ઘેરાવમાં લઈ લેશે. જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ મુખ્ય રૂપે રેલીમાં તહેનાત રહેશે.
ત્રણ હજાર સુરક્ષા જવાનો તહેનાત રહેશે. એસએસબી, સીઆઇએસએફના જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત કરાશે. ગૃહમંત્રી અમિત શાહ 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ લગભગ 25 મહિના બાદ પ્રથમ વખત શનિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. ઘાટીમાં હાલમાં આતંકી ઘટનાઓમાં સામાન્ય લોકો પર હુમલા બાદ સુરક્ષાની દૃષ્ટિએ શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો છે. શાહ અહીં ત્રણ દિવસ રહેશે. ગૃહમંત્રીની મુલાકાત માટે સમગ્ર કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. IB, NIA, આર્મી, CRPFના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે. તેઓ દરેક ઇન્ટેલિજેન્સ ઇનપુટ્સ મોનિટરિંગ કરી રહ્યા છે. શાહના પ્રવાસને જોતાં ગૃહ મંત્રાલયે કાશ્મીરમાં વિશેષ રીતે સ્નાઈપર્સ, ડ્રોન અને શાર્પશૂટર્સને તહેનાત કર્યા છે. તેને સ્ટ્રેટેજીક પોઈન્ટની દેખરેખ માટે માટે મોકલવામાં આવ્યા છે